રિપોર્ટિંગ: The KAPOL COMMUNITY ન્યૂઝ ડેસ્ક “કલા, સંસ્કૃતિ અને આપણું ગૌરવ”
નવી દિલ્હી/મુંબઈ: અત્યાર સુધી વિશ્વ માત્ર લિયોનાર્ડો દ વિન્ચીની ‘મોનાલિસા’ના ગુણગાન ગાતું હતું, પરંતુ હવે ભારતીય કલાની તાકાતનો પરચો આખી દુનિયાએ જોયો છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા નિર્મિત અદભૂત ઓઈલ પેઇન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’ (Yashoda and Krishna) એ દિલ્હીમાં સેફ્રોન આર્ટ (Saffronart) હરાજીમાં ₹167.2 કરોડ ($17.9 મિલિયન) માં વેચાઈને એક નવો ગ્લોબલ બેન્ચમાર્ક રચ્યો છે.
આ વેચાણે એમ.એફ. હુસૈનના ‘ગ્રાંમ યાત્રા’ (જે $13.8 મિલિયનમાં વેચાયું હતું) ના ગત વર્ષના રેકોર્ડને તોડી નાખ્યો છે.રાજા રવિ વર્માની કૃતિઓ ભારત સરકારના ‘એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ’ હેઠળ ‘આર્ટ ટ્રેઝર’ તરીકે વર્ગીકૃત છે, જેનો અર્થ છે કે આ પેઇન્ટિંગ ભારતની બહાર નિકાસ કરી શકાતું નથી.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાઈરસ પૂનાવાલા અને મેનેજિંગ ડિરેક્ટર સાઈરસ પૂનાવાલાએ સૌથી ઊંચી બોલી લગાવીને પોતાના નામે કરી છે.આ ઐતિહાસિક કૃતિને “રાષ્ટ્રીય સંપત્તિ” ગણાવીને ખાતરી આપી છે કે તે સમયાંતરે જાહેર જનતાના દર્શન માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કપોળ જ્ઞાતિનું ગૌરવ અને ઉપસ્થિતિ:
વિશેષ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ ઐતિહાસિક હરાજીમાં આપણા કપોળ જ્ઞાતિના એક પ્રતિષ્ઠિત અને અગ્રણી ઉદ્યોગપતિએ પણ ભાગ લીધો હતો. ભલે આ પેઇન્ટિંગ અંતે સાઈરસ પૂનાવાલાએ હસ્તગત કર્યું, પરંતુ આપણા કપોળ અગ્રણીની આ સ્તરની હરાજીમાં ઉપસ્થિતિ એ સાબિત કરે છે કે કપોળ સમાજ માત્ર વ્યાપારમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય વિરાસત અને કલાના જતનમાં પણ હંમેશા અગ્રેસર રહ્યો છે.
ભક્તિની ક્રાંતિ: ભગવાનને ઘર-ઘર સુધી પહોંચાડ્યા
આ માત્ર એક પેઇન્ટિંગ નથી, પણ એક સામાજિક ક્રાંતિનું પ્રતીક છે. જે જમાનામાં જ્ઞાતિ-જાતિના ભેદભાવને કારણે સમાજના દરેક વર્ગને મંદિરમાં પ્રવેશવાની છૂટ નહોતી, તેવા કપરા સમયમાં રાજા રવિ વર્માએ દેવી-દેવતાઓને કેનવાસ પર ઉતાર્યા અને સરસ્વતી, લક્ષ્મી તથા કૃષ્ણ ભગવાનને એવા સુંદર સ્વરૂપમાં ચિતર્યા કે લોકો તેમને પોતાની નજીક અનુભવવા લાગ્યા. મુંબઈમાં લિથોગ્રાફિક પ્રેસ શરૂ કરીને તેમણે ભગવાનની છબીઓને ગરીબમાં ગરીબ માણસના ઘર સુધી પહોંચાડી હતી.
વિરાસતનું જતન:
માતા યશોદા અને બાલકૃષ્ણના પ્રેમનું નિરૂપણ કરતું આ ઓઈલ પેઇન્ટિંગ ભારતીય પૌરાણિક વારસાનું પ્રતિક છે. જ્યારે કોઈ ઉદ્યોગપતિ આવી અમૂલ્ય કલામાં રોકાણ કરે છે, ત્યારે તે માત્ર એક ચિત્ર નથી ખરીદતા, પરંતુ આવનારી પેઢીઓ માટે ભારતની સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત રાખે છે.
ખરેખર, હવે ‘મોનાલિસા’ ને ભૂલીને દુનિયાએ ભારતીય કલાની તાકાત જોવી પડશે. ₹167 કરોડથી વધુની કિંમતે વેચાયેલું આ કૃષ્ણનું ચિત્ર સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ અને કલાની કિંમત આંકી શકાય તેમ નથી. હવે વિશ્વ કલા જગતમાં લિયોનાર્ડો દ વિન્ચીની જેમ ભારતીય કલાકાર રાજા રવિ વર્માનું નામ અને આપણા ભગવાન કૃષ્ણની આ છબી ગૌરવપૂર્વક ગુંજતી રહેશે.