બોરીવલી (મુંબઈ): જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ‘Once in a Lifetime’ ક્ષણ હવે આવી ગઈ છે! પ્રાતઃ સ્મરણીય, ભગવદ્ સેવા પરાયણ, પુષ્ટિમર્મજ્ઞ અને વાત્સલ્યમૂર્તિ નિત્યલીલાસ્થ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી મુરલીધરલાલજી વ્રજનાથલાલજી મહારાજશ્રી (શ્રી કાકાજી મહારાજ – ચાપાસેની / જામખંભાળિયા/બોરીવલી) ના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે ૨ એપ્રિલ (ચૈત્ર સુદ પૂનમ) ના રોજ ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦૦૦થી વધુ વૈષ્ણવોની ઉપસ્થિતિમાં નીકળશે ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રા. મધરાત સુધી ચાલશે મહોત્સવની હેલી
એક વર્ષ સુધી ચાલશે ભક્તિનો મહોત્સવ
પૂજ્ય શ્રી કાકાજી મહારાજનો પ્રાકટ્ય શતાબ્દી મહોત્સવ તા. ૦૨.૦૪.૨૦૨૬ થી તા. ૨૦.૦૪.૨૦૨૭ સુધી અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવાનું નિર્ધારેલ છે, જેનો મંગલ પ્રારંભ આવતીકાલે થશે. આ પ્રસંગે સમગ્ર મુંબઈ અને ગુજરાતમાંથી હજારો વૈષ્ણવો ઉમટી પડશે.
આ પવિત્ર અવસરે પાલના દર્શન દરમિયાન ‘વ્રજ મુરલી નિકેતન’ હવેલીમાં ભવ્ય નંદ મહોત્સવ ઉજવાશે.
શોભાયાત્રા અને કળશ યાત્રાની વિગત
આવતીકાલે સાંજે ૫:૦૦ કલાકે હવેલીએથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે.
- રૂટ: હવેલી ➡️ દ્વારકા હોટલ વાળી ગલી ➡️ ઉમેદ આશ્રમ રોડ ➡️ હવેલી પરત.
- શોભાયાત્રા: બેન્ડવાજા, ઢોલ-નગારા, ધજા-પતાકા અને કીર્તન મંડળીઓ સાથે શ્રદ્ધા અને મંગલ ભાવ સાથે ભાઈઓ, બહેનો અને બાળકો જોડાશે.
- કળશ યાત્રા: સૌભાગ્યવતી બહેનો અને કન્યાઓ માથા પર મંગલ કળશ ધારણ કરશે. કળશ લેનાર બહેનોએ કળશ, મગ, નાળિયેર, ઈંઢોણી અને આસોપાલવ કે આંબાના પાન સાથે લાવવાના રહેશે.
- ડ્રેસ કોડ: વૈષ્ણવોને પીળા અથવા કેસરી વસ્ત્રો, સાડી કે ચણિયાચોલી ધારણ કરવા વિનંતી છે.
કળશ યાત્રા એ ઉત્સવનું અત્યંત ‘મંગલમય અને ધાર્મિક પાસા સમાન’ છે. કળશ એ સ્વયં ‘બ્રહ્માંડ અને સમૃદ્ધિનું પ્રતીક’ છે, જેની સ્થાપના મહોત્સવની પવિત્રતા વધારવા માટે કરવામાં આવે છે. આ યાત્રા દ્વારા વાતાવરણમાં સકારાત્મકતા અને દિવ્યતાનો સંચાર થાય છે.
શોભાયાત્રા એ ભક્તિનું ગૌરવ સમગ્ર ઉત્સવની ભવ્યતા’નું જાહેર પ્રદર્શન છે.બેન્ડવાજા અને કીર્તનના નાદ સાથે હજારો વૈષ્ણવો ‘સામૂહિક રીતે ભગવદ સ્મરણ’ કરતાં માર્ગ પર વિચરણ કરે છે, જે ભક્તોના હૃદયમાં ઉત્સાહ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ દ્રઢ કરે છે.

આશીર્વાદ અને પરંપરાનો સંગમ
શોભાયાત્રા બાદ ભાવિકો શ્રી કાકાજીના ચરણપાદુકા- ચરણ સ્પર્શનો લાભ લઈ શકશે. પૂજ્ય શ્રી કાકાજી મહારાજનું ચરિતામૃત શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી દ્વારા સંકલન અને વાંચન,
ત્યારબાદ હવેલીની સામે આવેલા ગ્રાઉન્ડમાં મહાપ્રસાદનું આયોજન છે.
વૈષ્ણવોને ભાવભરી અપીલ
શ્રી કાકાજી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ આપ સૌને હૃદયપૂર્વક વિનંતી કરે છે કે, યોજાનારા ઉત્સવોમાં આપ સહપરિવાર પધારો. આ કોઈ સામાન્ય મેળવડો નથી, પણ ઠાકોરજીની સેવા અને સત્સંગના રંગે રંગાવાનો અવસર છે. આવો, આપણે સૌ સાથે મળીને આ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવીએ.
શ્રી કાકાજી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ
સ્થળ: વ્રજમુરલી નિકેતન (હવેલી), બોરીવલી.
આપણી સંસ્કૃતિ, આપણો વારસો, ચાલો જોડાઈએ…