ભાવનગર અને મુંબઈ વચ્ચે સીધી એર કનેક્ટિવિટીની પ્રતીક્ષા કરી રહેલા નાગરિકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ, આગામી ૨૯ માર્ચથી આ રૂટ પર દૈનિક બે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. આ સુવિધા માટેનું ઓનલાઈન બુકિંગ આજથી, એટલે કે ૨૫ ફેબ્રુઆરીથી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયાસોને પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. અગાઉ તકનીકી કારણોસર આ ફ્લાઈટ બંધ થતાં વેપારીઓ અને ઈમરજન્સી સેવા ઈચ્છતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મંત્રીશ્રીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ સ્થાનિકોની રજૂઆતો પહોંચાડી હતી, જેના પગલે આ મહત્વપૂર્ણ સેવા ફરીથી બહાલી કરવામાં આવી છે.
ઔદ્યોગિક રીતે વિકસિત ભાવનગરના હીરા, પ્લાસ્ટિક અને અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે આ જોડાણ અત્યંત અનિવાર્ય માનવામાં આવે છે. સીધી ફ્લાઈટ શરૂ થવાથી વેપાર-વાણિજ્યને વેગ મળશે તેમજ આરોગ્ય વિષયક તાત્કાલિક સેવાઓ માટે મુંબઈ જવું સરળ બનશે. મંત્રી નિમુબેન બાંભણીયાએ નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને સમયસર બુકિંગ કરાવી લેવા માટે વિશેષ અપીલ કરી છે.