શ્રી ભરત સંઘવી(Bharat Sanghvi), જેઓ સાહિત્ય જગતમાં ‘તિમિર'(Timir) તરીકે ઓળખાય છે, તેઓ એક સમર્થ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને કવિ છે. ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધાના એકલપંડે આયોજક તરીકે તેમણે રંગભૂમિને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
- સાહિત્ય અને પત્રકારત્વ: ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’ જેવા પ્રતિષ્ઠિત અખબારો સાથે પત્રકારત્વનો અનુભવ ધરાવતા ભરતભાઈ ચાર ભાષાઓ (હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી) ના જાણકાર અને કુશળ અનુવાદક છે. તેમણે સૌરાષ્ટ્રના વિખ્યાત કવિ શ્રી દિલહરની રચનાઓનું સંપાદન કરીને સાહિત્ય જગતને અમૂલ્ય ભેટ આપી છે.
- સમાજ સેવા: લાયન્સ ક્લબ અને કપોળ સોશિયલ ગ્રૂપના પ્રમુખ તરીકે તેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે. કાંદિવલીની ‘બાલભારતી’ સંસ્થામાં ૧૫ વર્ષ સુધી સેવા આપી છે અને આજે પણ ઝૂંપડપટ્ટીના બાળકોની શૈક્ષણિક અને પાયાની જરૂરિયાતો પૂરી કરીને સાચા અર્થમાં ‘માનવ સેવા’ કરી રહ્યા છે.
- રુચિ અને સંગ્રહ: હકારાત્મક અભિગમ ધરાવતા ભરતભાઈને પર્વતારોહણ, બાગબાની અને ચિત્રકામનો શોખ છે. તેઓ અપ્રાપ્ય પુસ્તકો અને ચલણી સિક્કાઓના શોખીન સંગ્રાહક પણ છે.
- સંબંધોનું મૂલ્ય: ૬૦ વર્ષ જૂની મિત્રતાને આજે પણ તેટલી જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે.
તેમણે કપોળ જ્ઞાતિ ને વણી લેતી એક સુંદર રચના અહીં પ્રસ્તુત છે:
કપોળોનાં દાદા ગલવમુનિના શિષ્ય અદકાં,
વસ્યા સૌરાષ્ટ્રના જનપથકમાં ગામ સઘળા.
હતી ખેતીવાડી, સમુદ્ર પટમાં વ્હાણ તરતા,
ધરી વાઘા સાફા, વણિકજનના કામ કરતા.
દુખિયારાઓની મદદ કરવામાં હરખતાં,
નિવાસો બાંધીને હમવતનવાસી અરપતાં.
કુબેરોની પેઠે પુર–નગર શેઠાઈ કરતાં,
કદી મ્હેમાનીમાં કરકસરને ના સમજતા.
કલા સૃષ્ટિમાંયે અમર નવલાં ગાન રચતા,
સભા નાનીમોટી, સતપરખ રાખી ગરજતાં.
નિશાળો ખોલાવી, પરબ કરતાં જ્ઞાન ગુજરી,
કપોળોની કીર્તિ જગતભરમાં એ પમરતા.
ભજે શ્રીજી બાવા અટલ વિસવાસે હ્રદયમાં,
સદા લક્ષ્મી પૂંજી શુભકરમ કાજે ખરચતાં.
કપોળોનાં પેટે હર જનમમાં દેહ મળજો,
ઝગારા મારે છે તિમિર તન ધારી જગતમાં.
લેખક: શ્રી ભરત સંઘવી ઉર્ફે ‘તિમિર’
વોટ્સએપ નં. +91 9167384647
(Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે લેખકની મૌલિક રચના અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથી.
